3 નવે, 2020

સ્પર્ધાત્મક પરીક્ષા અને ડિપ્રેશન થી બચાવ

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્ટ્રેસ મેનેજ કરી ડિપ્રેશનથી કેવી રીતે બચવું?




સ્પ ર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ ખુબજ મોટા પાયે આવી સમસ્યાઓનો સામનો કરતાં જોવા મળ્યા છે. જ્યારે જૂજ બેઠકો માટે લાખો ઉમેદવારોની સ્પર્ધા હોય છે ત્યારે ખુબજ માનસિક દબાણ હેઠળ કામ કરવાનું થાય છે. ક્યારેક ધારી સફળતા મળતી ન હોય કે કુટુંબનું માનસિક દબાણ હોય તો 'ડિપ્રેશન' જેવી સમસ્યાઓનો શિકાર બની શકાય છે. આવા સમયને કેવી રીતે સાચવી લેવો અને તેમાથી બહાર નીકળી ફરી 'નોર્મલ' જીવનની શરૂઆત કરવી તેની ચર્ચા આપણે કરીશું.

 ડિપ્રેશન એક એવી પરિસ્થિતી છે કે જેમાથી અનેક લોકો પસાર થાય છે ૯૦% લોકો તેમાથી રિકવર થઈને સાધારણ જીવન ટૂંકમાં શરૂ કરી શકે છે. પણ કેટલાક લોકો આ સમસ્યામાથી સહેલાઇથી નીકળી શકતા નથી અને આલ્કોહોલ, વ્યસનો, ડ્રગ્સ જેવા રવાડે ચડી જાય છે. 'ડિપ્રેશનનું મુખ્ય લક્ષણ 'નિષ્ક્રિયતા' છે. કોઈ પણ કામમાં રસ ન પડે. અરુચિ કે અભાવ આવી જાય અને નિષ્ક્રિય બેસી રહેવાય. આ પરિસ્થિતી એક ચક્રીય સ્થિતિનું નિર્માણ કરે છે. ડિપ્રેશન નિષ્ક્રિયતા પ્રેરે છે અને નિષ્ક્રિયતા વધુ ડિપ્રેશન લાવે છે. આ પરિસ્થિતી નિવારવા સૌપ્રથમ એકલતામાથી બહાર આવો. એકલા મનુષ્યને અનેક નકારાત્મક વિચારો આવે છે અને તે વધુ નિરાશ થાય છે. આથી તમારા પરિવારના લોકોને મળો. જો હોસ્ટેલમાં કે દૂર રહેતા હોવ તો ફોન પર વાત કરો. મિત્રો સાથે વાત કરો. નકારાત્મક વિચારોમાંથી બહાર આવો. 

ડિપ્રેશનમાથી બહાર આવવાનો બીજો સરળ અને શ્રે ઉપાય છે સૂર્યપ્રકાશ મેળવવો. અભ્યાસથી એવું પુરવાર થયું છે કે સૂર્યપ્રકાશ ડિપ્રેશન દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જે દેશોમાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે તેમાં ડિપ્રેશન વધુ આવે છે. તમે તમારી જાતને દિલ પર હાથ મૂકી એક સવાલ પૂછો કે છેલ્લે સૂર્યોદય કે સૂર્યાસ્ત ક્યારે જોયો હતો. આપણે મોટા ભાગે આપના પોતાનામાં એટલા ઉલઝયેલા હોઈએ છે કે વર્ષમાં ક્યારેક એકવાર પણ સૂર્યોદય કે સૂર્યાસ્ત જોયો હોતો નથી. 

ત્રીજો સરળ ઉપાય છે કે તમારી ગમતી પ્રવૃત્તિમાં મન પરોવો. મૂવી જોવું, મ્યુઝિક સાંભળવું, ડાયરી લખવી, ચિત્ર દોરવું વગેરે. ચાલવું એ પણ ડિપ્રેશન નિવારવાનો સારો વિકલ્પ માનવામાં આવે છે. અભ્યાસથી એવું પુરવાર થયેલ છે કે ચાલવાથી ડિપ્રેશનમાથી આપોઆપ બહાર આવી શકાય છે અને નકારાત્મક વિચારો દૂર કરી શકાય છે. 

ડિપ્રેશનથી બચવા અરોગ્યનું ધ્યાન રાખો. મોટાભાગના ડિપ્રેશનથી પીડાતા લોકોની ઊંઘ પૂરી હોતી નથી. સમયસર સુવા ન મળે,અનિંદ્રાથી પીડાતા લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. જો ૮ કલાક જેટલી નિયમિત ઊંઘ લેવામાં આવે તો ડિપ્રેશનથી બચી શકાય છે. ખોરાકમાં જંકફૂડ એવોઈડ કરવું જોઇયે. ડિપ્રેશનના સમયમાં વધુ ગળી- ખાંડવાળી વસ્તુઓ ખાવાથી સુગરકીક મળે છે અને સારું લાગે છે ઃ કોક પીવી, કેડબરી કે ચોકલેટ ખાવી. જે લોકો આહારમાં માંસાહાર કરે છે તેમણે માછલીને ભોજનમાં લેવી જોઇયે. તેમાં ઓમેગા-૩ ફેટીએસિડ હોય છે જે ડિપ્રેશન સામે રક્ષણ આપે છે.તેનાથી ઘણું સારું ફિલ થાય છે. વિટામિન બી ૧૨ની ઉણપથી પણ ડિપ્રેશન આવે છે. આથી બી-૧૨ વાળો ખોરાક ખાવો જોઇયે. 

નેગેટિવ વિચારો છોડી પોઝિટિવ એપ્રોચ વિકસાવો. તમને જ્યારે અંદરથી ખુબજ નેગેટિવ વિચારો આવે ત્યારે તેને સ્થાને તમે જે કઈ સારું કામ કર્યું છે તેને યાદ કરો. તમને સારું લાગશે. મારાથી પાસ નહીં થવાય તેવું ન વિચારો. બહુ બધી તૈયારી બાકી છે, હું તો આ કામ ક્યારેય ન કરી શકું એવું ન વિચારો. તેને સ્થાને નાની નાની તૈયારીથી શરૂઆત કરો. નાના નાના કામ કરો તે પૂરા કરવાનો આનંદ અને સંતોષ થશે. જે વિષય ટફ લાગે છે તે પૂરો કરતાં તો ૬ માહિનામાં પણ નહીં થાય એવું ન વિચારો. આજે શું થઈ શકે તે વિચારો. જેમકે આજના દિવસમાં પ્રથમ કામ એ વિષયનું એક પુસ્તક તો ખરીદી શકાય ! આમ કરવાથી ઘણું સારું લાગશે. નિષ્ક્રિયતામાથી બહાર આવશો અને ડિપ્રેશનમાથી રિકવર થઈ શકશો! 

સૌજન્ય સહ:
ગુજરાત સમાચાર
(અધ્યયન- હિરેન દવે )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો