20 ડિસે, 2019

નાગરિક્તા સંશોધન કાયદા સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોના જવાબ, જે તમારે જાણવા જરૂરી



સમગ્ર દેશમાં આ સમયે નાગરિક્તા સંશોધન એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ચાર્ટર (NRC)ને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર અને તેના સમર્થકો આ કાયદાને ઐતિહાસિક ગણાવીને તેનું સ્વાગત કરી રહ્યાં છે. તો બીજી તરફ વિપક્ષ અને મુસ્લિમ સંગઠનો સહિત અનેક NGO અને વિદ્યાર્થી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. તો ચાલો આજે જાણીએ કે, CAA શું છે અને CAB અને CAA વચ્ચે શું તફાવત છે.

*શું છે નાગરિક્તા સંશોધન કાયદો*
નાગરિક્તા સંશોધન કાયદો એટલે કે CAAનું પુરૂ નામ Citizenship Amendment Act છે. જે સંસદમાં પાસ થયા પહેલા CAB (Citizenship Amendment Bill) હતું. હવે વાત કરીએ CAA અને CABના તફાવતની તો, સંસદમાં પાસ થવા અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ આ બિલ નાગરિક સંશોધન એક્ટ એટલે કે કાયદો બની ગયો છે.

આ કાયદાની મદદથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત ભાગી આવેલા હિન્દુ, ખ્રિસ્ત, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવશે.

*શા માટે થઈ રહ્યો છે વિરોધ?*
આ એક્ટની મદદથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત ભાગી આવેલા હિન્દુ, ખ્રિસ્ત, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવશે, પરંતુ આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને સામેલ નથી કરવામાં આવ્યા. નાગરિક્તા કાયદા બાદ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના હિન્દુ, ખ્રિસ્ત, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો, જેમણે 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે તમામ લોકો ભારતની નાગરિક્તા માટે અરજી કરી શકશે. આ કાયદાના વિરોધીઓનું કહેવું છે કે, આ બિલમાં માત્ર બિનમુસ્લિમ લોકોને નાગરિક્તા આપવાની વાત કહેવામાં આવી છે. આથી આ ધાર્મક ભેદભાવ વાળો કાયદો છે. જે બંધારણની કલમ 14નું સરેઆમ ઉલ્લંઘન કરે છે.

*CAA પર સુપ્રીમ કોર્ટેમાં શું થયું?*
નાગરિક્તા સંશોધન કાયદા 2019ને બંધારણની રીતે પડકારતી તમામ 59 અરજીઓને કોર્ટે ધ્યાનમાં લીધી. કોર્ટે નાગરિક્તા કાયદા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. હવે સમગ્ર મામલે 22 જાન્યુઆરી, 2020ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

*મુસ્લિમો કેમ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા?*
આ અંગે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મુસ્લિમ દેશો છે. જ્યાં ધર્મના નામ પર મુસ્લિમો પર અત્યાચાર નથી થતો. આથી આ કાયદામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

*નાગરિક્તા માટે કટ-ઓફ ડેટ કંઈ છે?*
નાગરિક્તા માટે કટ ઓફની તારીખ 31 ડિસેમ્બર, 2014 રાખવામાં આવી છે.

*આ કાયદામાંથી કોણ બાકાત રખાયું?* 
આ કાયદાથી અસમના આદિવાસી વિસ્તારો અને મેઘાલય, મિઝોરમ અથવા ત્રિપુરા ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડને બહાર રાખવામાં આવ્યા છે.

*ભારતની પાડોશી દેશો સાથે પ્રત્યાર્પણ સંધિ શું છે?*
પ્રત્યાર્પણ કોઈને પરત ધકેલવા અને કોઈને પોતાના મૂળ સ્થાન પર પરત મોકલવા માટેની પ્રક્રિયા છે. એક વખત જ્યારે સરકાર ગેરકાયદે પ્રવાસીઓ (કાયદા પ્રમાણે) ની રાષ્ટ્રીયતા નક્કી કરે છે, તો આદર્શ રૂપે તેમને તેમના મૂળ દેશમાં પરત મોકલવા જોઈએ. જો કે ભારતની બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે આવી કોઈ સંધિ નથી.

*નાગરિક્તા કાયદા-1955 અનુસાર ગેરકાયદે પ્રવાસી કોણ?* 
માન્ય પાસપોર્ટ અથવા યાત્રા દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરનારા લોકો અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ કરનારો લોકો જે નક્કી કરેલ સમય મર્યાદા બાદ પણ પરત નથી ફર્યા, તે તમામ ગેરકાયદે પ્રવાસી છે.

*નવા કાયદા પ્રમાણે ગેરકાયદે પ્રવાસી કોણ છે?*
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવનાર તમામ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જે ડિસેમ્બર 2014ની પહેલા ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમને ગેરકાયદેસર પ્રવાસી એટલે કે ઘુસણખોર માનવામાં નહીં આવે. આ ઉપરાંત માન્ય પાસપોર્ટ અથવા યાત્રા દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરનારા લોકો અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ કરનારો લોકો જે નક્કી કરેલ સમય મર્યાદા બાદ પણ પરત નથી ફર્યા, તે તમામ ઘુસણખોરો છે.

*આ કાયદા વિરૂદ્ધ કેમ થઈ રહ્યું છે પ્રદર્શન?* 
આ કાયદા અંગે વિરોધીઓનું કહેવું છે કે, આ કાયદો બંધારણની મૂળ ભાવના અને ધર્મ નિરપેક્ષતાની વિરૂદ્ધ છે. આ કાયદામાં દેશમાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓનું ધર્મના આધારે વિભાજન કરવામાં આવી રહ્યું છે. આ કાયદા પ્રમાણે એવું અર્થઘટન કરવામાં આવે છે કે, દેશમાં ગેરકાયદેસર રહી રહેલા 6 ધર્મોના લોકોને શરણાર્થી માનીને તેમને નાગરિક્તા આપવાની વાત કરે છે, પરંતુ મુસ્લિમોને ઘુસણખોર દર્શાવે છે. આ કાયદાને NRCની તૈયારી પણ માનવામાં આવી રહી છે.

ભવિષ્યમાં NRC લાવવાથી માત્ર મુસ્લિમોને જ પોતાની નાગરિક્તા સાબિત કરવી પડશે, જ્યારે અન્ય 6 ધર્મોને તેમાં છૂટ મળશે. જે મુસ્લિમો પોતાની ભારતની નાગરિક્તા સાબિત નહી કરી શકે, તેમને અસમની જેમ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો