22 ડિસે, 2018

મહા નવલ -મળેલા જીવ અને માનવીની ભવાઈ કથા સર આસ્વાદ


#_મળેલા_જીવ #__પન્નાલાલ_પટેલ
દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે
#_કથાસાર
નવલકથામાં જેનો ઉલ્લેખ છે તે મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છે
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.
સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.
અનુવાદ અને રૂપાંતરણ
મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.
#__માનવીની_ભવાઈ
પન્નાલાલ પટેલની ૧૯૪૭માં પ્રકાશિત નવલકથા છે, જે ગુજરાતના ૧૮૯૯-૧૯૦૦માં છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાતા પડેલા દુષ્કાળ પર આધારિત છે.
તેમાં કાળુ અને રાજુની પ્રેમકથા તેમજ ગુજરાતના ગામડાઓમાં ખેડૂતોના દુષ્કર જીવનની કથા છે. ૧૯૯૫માં વી. વાય કંટકે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું.
૧૯૯૩માં આ નવલકથા પરથી આ જ નામનું ચલચિત્ર પણ બન્યું હતું.
પન્નાલાલ પટેલે આ નવલકથા ભારતની સ્વતંત્રતાના સમયે માંડલી ગામમાં તેમના નાના ઘરમાં અને તેમના ખેતરમાં લખી હતી.
#__કથાસાર
આ નવલકથા વાલા પટેલના પુત્ર કાળુ અને ગાલા પટેલની પુત્રી રાજુની પ્રેમ કથા છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા ઇચ્છે છે, પરંતુ નસીબજોગે બંનેના લગ્ન અન્ય સાથે નક્કી થાય છે. આ પ્રેમ કથાની સાથે પન્નાલાલ પટેલે ૧૯૦૦ના દાયકામાં પડેલા છપ્પનિયા દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોના જીવનનું વર્ણન કર્યું છે. નવલકથાનો અંત વરસાદના પ્રથમ બિંદુ સાથે થાય છે, જે ભયંકર દુષ્કાળના અંતનું સૂચન કરે છે.
#_અનુવાદ
વી. વાય કંટકે આ નવલકથાને અંગ્રેજીમાં અનુવાદિત કરી હતી, જે સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થઇ હતી. ઉપેન્દ્ર ત્રિવેદી વડે તેનું ચલચિત્ર રૂપાંતરણ કરાયું હતું. તેમણે પોતે કાળુનું પાત્ર ભજવ્યું હતું.



1 ટિપ્પણી: