ઇલોરાની ગુફામાં એક જ વિશાળ પથ્થરને કોતરીને બનાવાયેલા દૈવી કૈલાસ મંદિર સાથે સંકળાયેલાં રહસ્યો
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- રાણીએ રાજાને કહીને મંદિર બનાવડાવવાની તૈયારી શરૂ કરાવી. પરંતુ નિર્માણ કરનારાએ કહ્યું કે આમાં તો વર્ષોના વર્ષો નીકળી જશે એવું શિખર બને ત્યાં સુધી તો તમારી જિંદગી પણ પૂરી થઇ જશે
મા નવોએ બનાવેલા અનેક શિવમંદિરો છે. પણ આ એક એવું શિવ મંદિર છે જે દેવોએ નિર્મિત કરેલું છે એવું માનવામાં આવે છે. આ ઇલોરાનું કૈલાસનાથ (કૈલાસ) મંદિર છે જે ઔરંગાબાદની ગુફાઓમાં આવેલું છે. ઇલોરામાં ૩૪ ગુફાઓ છે જે ઉર્ધ્વોધર ઉભી ચરણાદ્રિ પર્વતના ફલક રૂપ છે. આમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ગુફા મંદિર બનેલા છે. એમાં એકથી બાર સુધીની બૌદ્ધિ ગુફાઓ, તેરથી ઓગનત્રીસ હિંદુ ગુફાઓ અને ત્રીસથી ચોત્રીસ સુધીની જૈન ગુફાઓ છે. ઇલોરાની સોળમી ગુફામાં આવેલું શિવમંદિર અનોખી રીતે નિર્મિત થયેલું છે. ઘણા લોકો માને છે કે કૈલાસનાથ મંદિર પરગ્રહવાસીઓની શક્તિની મદદથી બનાવાયું હતું.
આ મંદિર વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જેને પથ્થરના કાપેલા એક જ ટુકડામાંથી બાંધવામાં આવ્યું હતું. બિલ્ડિંગ બનાવવાની આ ટેકનિકને કટ ઇન ટેકનિક (cut in technique) કહેવામાં આવે છે. આ પ્રવિધિથી આખા એક જ વિશાળ પથ્થરને ઉપરથી નીચે કોતરીને બનાવવામાં આવ્યું હતું. જેમ નેતરણીકારો એક શિલ્પ કે મૂર્તિને પથ્થરમાંથી કોતરીને તૈયાર કરે તેમ આ પથ્થરમાંથી કોતરણી કરીને સુંદર સ્તંભો, દરવાજાઓ, ગુફાઓ અને અસંખ્ય શિલ્પાકૃતિઓ નિર્મિત કરવામાં આવી હતી જે શિલ્પકળાના અજોડ નમૂના રૂપ છે !
અર્વાચીન શિલ્પકારો જણાવે છે કે આવું મંદિર આજના સમયમાં નિર્મિત કરવું હોય તો લગભગ ચાર લાખ ટન જેટલા પથ્થર કાપવા પડે અને આટલા મોટા પ્રમાણમાં પથ્થર કાપવામાં અને ત્યાંથી કપાયેલા પથ્થર બહાર કાઢવામાં ઘણા દાયકાઓનો સમય લાગે. પરંતુ ઇતિહાસ ગવાહ છે કે આ મંદિર માત્ર ૧૮ વર્ષના ટુંકા ગાળામાં જ તૈયાર કરાઇ દેવાયું હતું. આ મંદિરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે વોટર ડ્રેનેજ સીસ્ટમ અને કૈલાસ મંદિરને બીજા મંદિરો સાથે જોડવા માટે એક બ્રિજ પણ બનાવવામાં આવ્યો હતો જે સ્પષ્ટ પણે દર્શાવે છે કે પથ્થર કાપવાનું શરૂ કરતાં પહેલાં ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકગણિત અને એન્જિનિયરિંગના અતિ અલ્પ સાધનો હોવા છતાં આઠમી સદીમાં આટલું મોટું મંદિર કેવી રીતે બનાવ્યું હશે તે ભારે અચરજ ઉપજાવે એવી બાબત છે. સંશોધનકારો કહે છે કે જો સાત હજાર મજૂરો ૧૫૦ વર્ષ સુધી સતત કામ કરે તો આનું નિર્માણ થાય. તે કેવળ ૧૮ વર્ષ જેટલા ટૂંકા સમયમાં કેવી રીતે થઇ ગયું હશે ? તે સમયે મોટી ક્રેન, કાપવાના ઓજારો એવું કંઇ નહોતું. એટલે કેટલાક સંશોધકો માને છે કે કોઇ પરગ્રહી ટેકનોલોજી (Alien Technology) કે દેવી સહાયથી આનું નિર્માણ કરાયું હોય તો જ આ શક્ય બને !
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં આવેલી ઇલોરાની સોળમી ગુફામાં આવેલું આ અલૌક્કિ શિવ મંદિર જેને કૈલાસનાથ મંદિર કે કૈલાસ મંદિર તરીકે ઓળખાવામાં આવે છે તે હિમાલયની કંદરાઓમાં આવેલા કૈલાસ પર્વત જેવા આકાર-પ્રકારથી બનાવવામાં આવ્યું છે. ઇલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકુટોએ કરેલું હોવાનું મનાય છે. આ કૈલાસ મંદિરને રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ પ્રથમે બનાવ્યું હોવાનું કહેવાય છે. રાજા કૃષ્ણ પ્રથમે ઇ.સ. ૭૫૩ થી ૭૬૦ના સમયગાળા દરમિયાન તેને બંધાવવાની શરૂઆત કરી હશે એવું ઘણા સંશોધકો માને છે. એવું કહેવાય છે કે એકવાર રાજા કૃષ્ણ પ્રથમ ગંભીર બિમારીનો ભોગ બન્યો. રાજવૈદ્યોએ એની બીમારી દૂર કરવા અથાગ પ્રયત્નો કર્યા પણ તેમને તેમાં સફળતા ના મળી. અંતે રાણીએ મૃત્યુંજય મહાદેવ ભગવાન શિવની આરાધના કરી અને તેમને પ્રાર્થના કરી કે તે તેના પતિનો રોગ દૂર કરી તેમને સ્વસ્થ્ય કરી દે. તે સ્વસ્થ થઇ જાય એટલે તરત એક ભવ્ય શિવ મંદિર બનાવડાવશે અને મંદિરનું શિખર બની જાય ત્યાં સુધી વ્રત અને ઉપવાસ કરશે. શિવજીની કૃપાથી રાજા કૃષ્ણ પ્રથમની બિમારી ચમત્કારિક રીતે દૂર થઇ ગઇ.
પોતાના સંકલ્પ અનુસાર રાણીએ રાજાને કહીને મંદિર બનાવડાવવાની તૈયારી શરૂ કરાવી. પરંતુ નિર્માણ કરનારાએ કહ્યું કે આમાં તો વર્ષોના વર્ષો નીકળી જશે એવું શિખર બને ત્યાં સુધી તો તમારી જિંદગી પણ પૂરી થઇ જશે. આખી જિંદગી વ્રત અને ઉપવાસ કરવા મુશ્કેલ બનશે. તેથી રાણીએ ફરી ભગવાન શિવજીને આરાધનાથી પ્રસન્ન કર્યા અને તેમની સહાય માંગી. ભગવાન શિવજીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી તેમને દર્શન આપ્યા અને તેને એક દિવ્ય અસ્ત્ર આપ્યું જે પળભરમાં ગમે તેવા મજબૂત શિલાને કાપી શકે, તોડી શકે, ઓગાળી શકે અને ઉઠાવી શકે તેવી ક્ષમતાવાળું હતું. તે મંદિરના નિર્માણ માટે દેવલોકના કુશળ શિલ્પીઓ પણ મોકલ્યા. નીચેથી ઉપર સુધી બનાવતા પણ થોડા વર્ષો તો લાગે એટલે શિખર બનવામાં વર્ષો નીકળી જાય તેથી દેવ શિલ્પીઓએ ઉપરથી નીચે નિર્માણ કરવાનું શરૂ કર્યું. આ રીતે મંદિરનું શિખર પહેલાં બની ગયું અને રાણીની પ્રતિજ્ઞાા પૂર્ણ થતાં તેને વર્ષો સુધી વ્રત અને ઉપવાસ કરવાની જરૂર ના રહી. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીએ આપેલા દિવ્ય, અલૌક્કિ અસ્ત્રથી જ એ મંદિરનું નિર્માણ થયું અને દેવ શિલ્પીઓએ નિર્માણ પુરું થયું પછી તે અસ્ત્ર એની એક ગુફામાં જ છુપાવી દીધું હતું. જે હજુ પણ ત્યાં છે. આ શિવમંદિરની ઉંચાઇ ૯૦ ફુટ છે તે ૨૭૬ ફુટ લાંબુ અને ૧૫૪ ફૂટ પહોળું છે. એમાં એવી રહસ્યમય ગુફાઓ છે જેનો બીજો છેડો ક્યાં ખુલશે તે કોઇને ખબર પડતી નથી.
કૈલાસ મંદિરમાં નીચે અનેક હાથીઓનું નિર્માણ કરાયું છે. એવું મનાય છે કે એમના ઉપર જ આખું મંદિર ટકેલું છે. મંદિરમાં સૌથી વધારે પેનલ છે તેમના ઉપર ભગવાન વિષ્ણુના અનેક સ્વરૂપો અને મહાભારતની કથાના દ્રશ્યો અંકિત કરાયેલ છે. એની દિવાલો પર અલગ પ્રકારની લિપિઓથી આલેખો લખાયેલા છે જેની ભાષા કોઇ ઉકેલી શક્યું નથી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ મંદિરની નીચેની ગુફાઓમાં શોધ-સંશોધન કરાવવાનું શરૂ કર્યું હતું. અમુક ગુફાઓમાં હાઇ રેડિયો એક્ટિવિટી જોવામાં આવી હતી અને તપાસ કરવા ગયેલા વિજ્ઞાાનીઓ અને સંશોધકો ગુફામાંથી એકાએક ગુમ થઇ ગયા હતા પછી તે જીવતા કે મરેલા ક્યાંયથી ક્યારેય મળી આવ્યા નહોતા ! કેટલા પુરાતત્વશાસ્ત્રી માને છે કે આ ગુફાઓમાંથી કોઇ બીજી દુનિયામાં જઇ શકાતું હશે. દેવલોકના શિલ્પીઓએ એમના લોકમાં પાછા જવા માટે તે ગુફાઓમાં કોઇ દૈવી પ્રવેશ દ્વાર જે નિકાલ દ્વાર બનાવ્યા હશે. એટલામાં જ શિવજીનું દૈવી અસ્ત્ર રાખવામાં આવ્યું હશે. એટલે જ ત્યાંથી ભારે રેડિયો એક્ટિવ કિરણો આવે છે. ગુફાઓમાં જોવા મળેલા પારલૌક્કિ પ્રણભાવને કારણે અંગ્રેજોએ એ ગુફાઓ કાયમ માટે બંધ કરી દીધી હતી. જે અત્યારે પણ બંધ છે. ઔરંગઝેબે કૈલાસ મંદિરનો પૂરેપૂરો નાશ કરી નાખવા એક હજાર સૈનિકોને કામગીરી સોંપી હતી. ત્રણ વર્ષ સુધી સતત પ્રયાસ કરવા છતાં તે આ મંદિરને નુકસાન પહોંચાડી શક્યા નહોતા. પછી ઔરંગઝેબે તે પ્રયાસ છોડી દીધો હતો.
Tags :
Devesh-Mehta
Agochar-Vishva
સૌજન્ય સહ :ગુજરાત સમાચાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો