પૂજ્ય શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની માહિતી:
ગોંડલ નાં દિવાન પ્રાણશંકર જોષી સાહેબ ઇ.સ ૧૯૫૨ માં લગભગ ૮૫ વર્ષના હતા. પ્રખર વિદ્વાન અને ચારિત્ર્યશીલ એમનું વ્યક્તિત્વ. એ અને મહાત્મા ગાંધી શામળદાસ કોલેજ માં સાથે ભણતા. એ સમયે એમણે એક મુલાકાત માં બાપાના આ ફોટા વિશે અધિકૃત વાત કરેલી છે. જે રોમાંચક છે.
પૂજ્ય જલારામ બાપા નો સમયકાળ ..
તા. ૪ /૧૧/૧૭૯૯ થી તા. ૨૩/૨/૧૮૮૧ સુધી..
કારતક સુદ સાતમ, સોમવાર વિક્રમ સંવત ૧૮૫૬ થી મહા વદ દસમ, બુધવાર વિક્રમ સંવત ૧૯૩૭.
જલારામ બાપા ને દિવાન શ્રી પ્રાણશંકર જોષી સાહેબે નાનકડી ઉંમરે જોયેલા.
ભકતમંડળી સાથે કિર્તન કરતા.
એ વખતે ગોંડલ સ્ટેટની જાહોજલાલી ઉચ્ચસ્થાને હતી. ગોંડલ નરેશ જલાભગત ને અહોભાવથી માન આપતા, સદાવ્રત માટે મદદ કરતા.
પ્રાણશંકર જોષી સાહેબ ના મામા કલ્યાણજીભાઇ એ જમાનામાં નવી નવી ગણાતી ફોટોગ્રાફી ના શોખીન હતા. એમનો એક મિત્ર નામે Anson જે ડેન્માર્કનો વતની હતો અને ફોટોગ્રાફી માં નિષ્ણાત હતો. આ બંને જણાએ ભેગા મળી રાજકોટમાં એ વખતે Anson & Kalyanji એ નામે સ્ટુડીયો શરૂ કરેલો. એમાં મુહૂર્ત માં કોઇ પવિત્ર માણસ નો ફોટો લેવો એવું નકકી કરેલ અને એ વખતે કાઠિયાવાડ માં જલાભગત એક પવિત્ર સંત તરીકે લોકોમાં ખુબ જ જાણીતા હતા આથી આ બંને મિત્રો સામગ્રી સાથે વિરપુર પહોંચ્યા. એ વખતે વિશાળ કેમેરા અને બેકગ્રાઉન્ડ ગોઠવવામાં દિવસો લાગતા.
બાપા એ વખતે વયોવૃદ્ધ હતા. વિરપુર નું સદાવ્રત ધમધમતું હતું. એની ખીચડીનો સ્વાદ આજની માફક જ એ વખતે પણ સ્વર્ગીય હતો. બંને મિત્રોએ જલાભગતને ફોટો પડાવવા વિનંતી કરી. બાપા એ નમ્રપણે ઇન્કાર કર્યો અને કહ્યું "મારા તે વળી ફોટા હોય ? તમારે ફોટો લેવો હોય તો મહારાજ સાહેબ છે. આ બાજુમાં ઉભી છે એ ગાય માતાનો લ્યો. કોઇ પારેવાનો ફોટો લો..સાધુઓ પણ છે...હું તો એક પામર વ્યકિત છું.. "
પણ આ બંને દોસ્તો આજીજી કરી બાપાના ચરણોમાં પડયા. એમને દુ:ખી થતા જોઇ બાપાનું ભકત હદય પીગળી ગયું અને આ 'ઐતિહાસિક કલીક' આપણને મળી. બંને મિત્રો બાપાને વંદન કરી, પ્રસાદ લઇ રાજકોટ ના રસ્તે પડયા.
એ વખતે ફોટા ધોવા માટે પણ જટિલ અને લાંબી પ્રક્રિયા હતી. Vet Process થી એ કામ થતું. મોટી સ્લાઇડોને પાણીથી ધોવામાં આવતી. એ વખતે એટલું બધું પાણી ઢોળાતું કે શેરીઓ માં જોવા મળતું. રાજકોટ ની ખીજડા શેરીમાં આવેલા એ સ્ટુડીયો માં જલાભગતનો આ ફોટો આ રીતે જ તસવીર સ્વરૂપ પામ્યો. શરૂઆત માં એ ગોંડલ નરેશ અને દિવાનસાહેબ ની અંગત લાયબ્રેરી માં જ પડેલો હતો. પરંતું બાપાના ભકતોની લાગણી જોઇ એ પ્રજા સમક્ષ "વાઇરલ" પણ થઇ જ ગયો.
બાપાની હયાતી નો એકમાત્ર આ ડોકયુમેન્ટ આપણી મોંઘી વિરાસત છે. એમાં બાપાની ડાબી આંખ સ્હેજ બીડાયેલી છે. કદાચ મોતિયો પણ હોઇ શકે. એ જમાનાની કાઠિયાવાડી પાઘડી અને અંગરખું અને ચહેરા ઉપરની અદભુત આભા આબેહૂબ એક ડેનિશ કલાકારે કંડાર્યાં છે.
આજે આ ફોટો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે....
🙏🦚🙏
જય જોગી જલિયાણ ✨🦚
.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો