11 જુલાઈ, 2021

વર્ષાનો વૈભવ/વર્ષાઋતુ


ગ્રીષ્મ આકરા તાપની ઋતુ છે . સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે . લગભગ બધાં જળાશયો સુકાઈ જાય છે . ધરતી સૂકી ભટ્ટ અને વેરાન થઈ ગયેલી દેખાય છે . પશુ , પક્ષી , માનવ અને વનસ્પતિ ચાતકડોળે વર્ષાના આગમનને ઝંખતાં હોય છે . અચાનક વર્ષનું આગમન થાય છે અને ગ્રીષ્મઋતુ ધીરે ધીરે વિદાય લે છે . 
    વર્ષાના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે . વીજળીના ચમકારો , વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે . વરસાદ વરસવા માંડે કે સર્વત્ર આનંદનું મોજું ફરી વળે છે . બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે . મોર કળા કરે છે , નાચે છે અને એના ટહુકાથી સીમને ગજવી નાખે છે . કોયલની કૂક વાતાવરણને આહલાદક બનાવી મૂકે છે . દેડકાં ' ડ્રાંઉ ’ .. ' ડ્રાઉ ' .. કરીને વર્ષાનું સ્વાગત કરે છે . ભીની માટીની સુવાસ આપણને તરબતર કરી દે છે . વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે . પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી ‘ કાગડો ’ થઈ જાય છે . વરસાદમાં નાહવાની બધાંને ખૂબ મઝા આવે છે . ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે . જળાશયોની પાણીની સપાટીમાં વધારો થવા લાગે છે . 

     ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે . તેઓ ખેતરમાં બી વાવે છે કે ધરુ રોપે છે . થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે .  ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે . 
      વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ . રક્ષાબંધન , જન્માષ્ટમી , ગણેશચતુર્થી , સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે . પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે . આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે . 
 વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે . નદીઓમાં ભયંકર પૂર આવે છે . ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે . જાનમાલનું ભારે નુકસાન થાય છે . વર્ષા નું આ રૌદ્ર સ્વરૂપ છે . વર્ષાઋતુ માં કોઈ વાર બિલકુલ વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો ખેતરોમાં અનાજ પાકતું નથી , ધાસચારો થતો નથી , પાણીની ભયંકર તંગી પડે   છે . તેને ‘ દુષ્કાળ ' કહે છે . 
 
    વર્ષાઋતુ માં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવકીચડ થઈ જાય છે . માખી અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે . તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે .    

     વર્ષાઋતુમાં અનાજ પાકે છે . ધાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે . તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે . એટલે વર્ષાઋતુનાં જેટલાં ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં  છે . કવિઓ તેનાં ગુણગાન ગાતાં કાવ્યો લખે છે . કવિઓએ      વર્ષાઋતુને      ‘ ઋતુઓની રાણી ’ કહીને આવકારી છે . 
       
                         **************

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો