નિવૃત્ત પ્રોફેસર , લેખક અને સંશોધનકાર ડૉ. કે. ટી. મહેતાને લંડનમાં ‘ હિન્દ રત્ન એવોર્ડ ’ એનાયત
૧૧, ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ લંડનમાં બ્રિટિશ પાર્લામેન્ટ ‘ હાઉસ ઓફ કોમન્સ ’ ખાતે ડૉ. મહેતાને આ ઍવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઍવોર્ડ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીના ઉત્સવ પ્રસંગે આપવામાં આવેલ છે. ઇન્ડિયન સોલીડરીટી કાઉન્સિલ સાથે જોડાયેલ અને એન.આર. આઈ. વેલફેર સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે લંડનમાં આ ઍવોર્ડ ડૉ. મહેતાને એનાયત કરેલ છે.
આ ઍવોર્ડ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર રોલ અને સંશોધનની કામગીરી માટે આપવામાં આવે છે. ‘ નીક અચિવર્સ હૂ ઈઝ હૂ ’ ( NIC Achievers ‘ who is who) નું બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી ધરાવતા મહાનુભાવોના બાયોડેટા છાપવામાં આવે છે. તેમાં ડૉ. મહેતાના બાયોડેટાનો સમાવેશ થાય છે.
આમ રાષ્ટ્રીય કક્ષાના અત્યાર સુધી ૧૦ ઍવોર્ડ મેળવનાર ડૉ. મહેતાએ રાજપીપળા-ભરુચનું જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. જાણીને આશ્ચર્ય થશે કે ૭૫ વર્ષના સિનિયર સિટિઝન કાનની ૧૦૦ ટકા બહેરાશ અને મગજની માનસિક બીમારી હોવા છતાં કુલ ૧૦૬ પુસ્તકો તથા દેશ-વિદેશના ૨૨ સંશોધન લેખો અને ચાર સંશોધન પ્રોજેકટ ડૉ. મહેતાના છપાયા છે. હાલમાં ડૉ. મહેતાએ લખેલ ‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદી–વિરાટ પુરુષ ’ના બે પુસ્તકો સુરત શ્રી હરિહર પુસ્તકાલય તરફથી પ્રકાશિત થયેલ છે, તથા ઊર્જા વિષયના ૧૫ પુસ્તકો ડિસેમ્બર ૨૦૧૯માં સુરત સાહિત્ય સંગમ તફથી બહાર પડનાર છે. છેલ્લા ૧૨ વર્ષમાં જ ૨૮ પુસ્તકો પ્રકાશિત થયા છે. આ ઉપરાંત જુલાઇ ૨૪, ૨૦૧૯ના રોજ ન્યુ દિલ્હી ખાતે ડૉ. મહેતાને ‘ ભારત ગૌરવ પુરસ્કાર’ પણ મળેલ છે. તેઓ ૬૨ વર્ષે નોકરીમાં સેવા નિવૃત્ત થયા પછી પણ સતત ૧૦ કલાક પુસ્તકોનું વાંચન-લેખન કાર્ય તથા રોજના ચાર માઈલ ચાલવું અને જીમમાં દોઢ કલાકની કસરત આ ઉંમરે પણ ચાલુ છે. સતત સંઘર્ષ છતાં પ્રવૃત્તિમય જીવન જીવવાની કળા ડૉ. મહેતા પાસેથી શીખવા જેવી છે. હાલ બીજી પીએચ.ડી ડિગ્રી માટે સંશોધન કાર્ય કરી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો