5 ઑક્ટો, 2018

નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી શક્તિ- ઉપાસનાનો મહિમા

યોગવશિષ્ઠ મહારામાયણમાં ' શક્તિ' વિશે કહેવાયું છે- ' સર્વશક્તિ યુક્ત બ્રહ્મ બધાનો ઇશ્વર છે. જે શક્તિ દ્વારા તે પ્રકટ થવા માગે છે તે દૃષ્ટિગોચર થઈ જાય છે. તે પરમ આકાશ (અનંત તત્વ) જેને મેં ચેતન સ્વરૂપ (બ્રહ્મ) દર્શાવ્યું છે, શિવ પણ કહેવાય છે. તે સનાતન છે. એમની મનોમયી સ્પન્દ શક્તિ (ક્રિયા શક્તિ)ને એમનાથી અભિન્ન સમજો. 

તે બ્રહ્મની સ્પન્દ શક્તિ રૂપી ઇચ્છા જ દૃશ્યમાન પદાર્થોનો વિસ્તાર કરે છે. હે રામ ! તે પરમેશ્વરી શિવેચ્છા જે અનાદિ સ્પંદન શક્તિ છે. 

તે પ્રકૃતિ અને જગન્માયા પણ કહેવાય છે. એટલા માટે જગતના બધા પદાર્થ શિવ-શક્તિના કોશમાં રહેલા છે. બધા સત્ય છે અને પરમ તત્વ (શિવ) એમનો આત્મા છે. એના સિવાય બીજું શું કહી શકાય ?'

એકવાર ભગવાન શંકરે જ પાર્વતીને કહ્યું હતું - ' શક્તિ' વિના મહેશાનિ સદાહં શવરૂપક:।

શક્તિ યુક્તો યદા દેવી શિવોડહં સર્વકામદ: ।।

હે મહેશ્વરી ! (તમારી) શક્તિ વિના હું હમેશાં શબ (શવ) સમાન જ છું, હું જ્યારે (તમારી) શક્તિથી યુક્ત હોઉં છું ત્યારે જ બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર 'શિવ'રૂપ રહું છું. એ રીતે શ્રી દેવી ભાગવતમાં ભગવાન શિવ પાર્વતીજીને કહે છે- ' બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સંહાર કરે છે આ વાત લોકપ્રસિધ્ધ છે. 

પરંતુ તમારી ઇચ્છાથી જ અમારામાં શક્તિ આવે છે. ત્યારે જ અમે આ કાર્ય કરવામાં સમર્થ બનીએ છીએ.' બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું રૂપ ધારણ કરી તમે જે જગતની રચના કરો છો તે સંપૂર્ણ ચરાચર જગત તમે જ બની જાઓ છો. તમે તમારી રૂચિને અનુરૂપ કૂતુહલથી વિવિધ રૂપ ધારણ કરી લીલા વિલાસ કરો છો અને શાંતિ થઈ જાઓ છો.'

એ રીતે ભગવતી ઉમા સ્વયં કહે છે- ' હું બધા જ દેવોમાં વિભિન્ન નામ ધારણ કરીને રહું છું. હું જ શક્તિ રૂપે પરાક્રમ કરું છું. ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારુણી, કૌબેરી, નારસિંહી અને વાસવી- બધી શક્તિઓ હું જ છું.' ' હે બ્રહ્માજી ! જો હું કોઈને ત્યજી દઉં તો તે કોઈ ક્રિયા કરવા સમર્થ ના રહે. 

તે હલનચલન કરવા  કે શ્વાસ લેવાય સમર્થ ન રહે. મારા શક્તિ તત્વથી પૃથક થઈ જાય તો શિવજી પણ દૈત્યોને મારવા સમર્થ ન રહે. હું કોઈપણ માનવીના શરીરથી અળગી થઈ જઉં તો એને ' શક્તિહીન' તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એને 'રુદ્રહીન' કે 'વિષ્ણુહીન' કહીને બોલાવતું નથી ! એટલા માટે મને શક્તિને જ બધાની સત્તા, ક્રિયાશીલતા અને સિદ્ધિઓનું એકમાત્ર કારણ સમજો.

હે બ્રહ્માજી ! જ્યારે તમે સૃષ્ટિના સર્જનની ઇચ્છા કરો છો તે વખતે જ્યારે હું સાથ આપું છું ત્યારે જ તમે જગતની રચના કરી શકો છો. એ જ રીતે વિષ્ણુ, શિવ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, યમ, ત્વષ્ટા, વરુણ અને વાયુ બધા મારી શક્તિના સહયોગથી જ સફળતા પામે છે. પૃથ્વી શક્તિથી યુક્ત હોય છે. ત્યારે જ તે સ્થિર રહીને બધાને ધારણ કરી શકે છે શક્તિ ન રહે તો તે એક પરમાણુને પણ ધારણ ન કરી શકે.'

શિવ- શક્તિ સદા સંયુકત છે. શિવ પરમ બ્રહ્મ વિના શક્તિ કંઈ ન કરી શકે અને શક્તિ (ઉર્જા) વિના શિવ કંઈ ન કરી શકે. એટલે જ અર્ધનારીશ્વરનું રૂપ અસ્તિત્વમાં આવ્યું છે. સત્, ચિત્, આનંદ ઇશ્વરના આ ત્રણ રૂપોમાં આનંદ સ્વરૂપ, સામ્યાવસ્થા, અક્ષુબ્ધ ભાવ ભગવાન શિવનું છે. મનુષ્ય પણ ઇશ્વરનો અંશ છે એટલે એનામાં પણ આ ત્રણ સ્વરૂપ વિદ્યમાન છે. એનું સ્થૂળ શરીર એ સત્નો અંશ છે એની બાહ્ય ચેતના એ ચિત્ તત્વનો અંશ છે. 

જ્યારે આ બન્ને મળીને પરમાત્માના સ્વરૂપની પૂર્ણ ઉપલબ્ધિ કરાવે છે. ત્યારે તેને આનંદ અંશની અનુભૂતિ થાય છે. બીજી રીતે જોઈએ તો ઇશ્વરનું સત્સ્વરૂપ એમનું માતૃસ્વરૂપ છે અને ચિત્સ્વરૂપ પિતૃસ્વરૂપ છે. ત્રીજું આનંદ સ્વરૂપ એ છે જેમાં માતૃભાવ અને પિતૃભાવ બન્નેનું પૂર્ણરૂપે સામંજસ્ય થઈ જાય છે. 

શિવ અને શક્તિ બન્ને મળીને અર્ધનારીશ્વર રૂપમાં આપણી આગળ પ્રકટ થાય છે. એમાં સત્- ચિત્ની સાથે એમના આનંદરૂપના પણ દર્શન થઈ જાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને ઇશ્વરની પ્રતિકૃતિ છે. સ્ત્રી એમનું સદ્રૂપ છે. તો પુરુષ ચિદ્રૂપ છે. બન્ને એકમેક વિના અધૂરા છે. જ્યારે એ બન્ને પૂર્ણરૂપે મળીને એક થાય છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. અર્ધનારીશ્વરનો આવો અદ્ભુત મહિમા છે. ઉમા મહેશ્વર, ઇશ્વર- પાર્વતી, અર્ધનારીશ્વર, ગણ- ગૌરિ વગેરે સ્વરૂપોની સાધના કરવા પાછળ આ અર્થ છૂપાયેલો છે.
સૌજન્ય:ગુજરાત સમાચાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો